Sunday, January 6, 2013

ભારતના રાષ્ટ્રપતિ (President of India)


 દેશના પ્રથમ નાગરીક---ભારતના રાષ્ટ્રપતિ

 ભારતના રાષ્ટ્રપતિની વધુ માહિતી માટે ઇમેજ પર ક્લિક કરો
 ભારતમાં રાષ્ટ્રપતિનો હોદ્દો સૌથી ઉચ્ચ હોદ્દો ગણાય છે. ભારતમાં રાષ્ટ્રપતિને પ્રથમ નાગરિક તરીકે પણ ઓળખવામાં આવે છે.
રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહો- લોકસભા અને રાજ્યસભાની બેઠક બોલાવવાની, મુલતવી રાખવાની સત્તા ધરાવે છે. તેઓ લોકસભાને બરખાસ્ત પણ કરી શકે છે, પરંતુ આ સત્તાનો ઉપયોગ વડા પ્રધાનના વડપણ હેઠળની મંત્રી પરિષદની સલાહ કે ભલામણથી જ કરી શકે છે. સામાન્ય ચૂંટણી પછી સંસદના બંને ગૃહોનું તે ઉદ્ઘાટન કરે છે અને દરેક વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે બંને ગૃહોને સંબોધન કરે છે, જેમાં સરકારની નવી નીતિની વાત કરે છે. સંસદે પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપતિની સહી વગર કાયદા બની શકતા નથી. સંસદે પસાર કરેલો ખરડો રાષ્ટ્રપતિ સમક્ષ આવે અને રાષ્ટ્રપતિને એમ લાગે કે, આ ખરડામાં પુનઃ વિચારણાની જરૂર છે તો તે નાણાકીય ખરડો કે બંધારણીય સુધારા સિવાયના ખરડાને સંસદમાં પરત મોકલી શકે છે. ત્યાર બાદ સંસદ તે ખરડાને સુધારીને કે સુધાર્યા વગર ફરીથી રાષ્ટ્રપતિને મોકલે તો તેની પર રાષ્ટ્રપતિએ સહી કરીને કાયદાનું સ્વરૂપ આપવું પડે છે. રાષ્ટ્રપતિ પાસે પ્રારંભમાં જ્યારે કોઈ ખરડો આવે ત્યારે તે ઇચ્છે તો તેની પર અનુમતી નહીં આપતા પોતાનો પોકેટ વીટો વાપરીને રોકી શકે છે. કોઈ ખરડા પર બંને ગૃહો વચ્ચે મતભેદ પડે તો રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે. સંસદની બેઠક ચાલુ ન હોય તો તાકીદની પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. આ વટહુકમ સંસદ ફરી મળે ત્યારે તેને વધુમાં વધુ છ અઠવાડિયામાં અનુમતી ન આપે તો તે અમલમાં રહી શકે નહીં.
રાષ્ટ્રપતિ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને વડા પ્રધાન તરીકે નીમે છે અને તેમની સલાહ મુજબ અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે. કારોબારીનાં તમામ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે જ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે, તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની અને સંધિ કરવાની સત્તા ધરાવે છે. ભારતના એટર્ની જનરલ, કોમ્પ્ટ્રોલર, ઓડિટર જનરલ, સર્વોચ્ચ અદાલતો અને હાઈકોર્ટના ન્યાયાધીશો, રાજ્યના રાજ્યપાલો, ચૂંટણીપંચ, નાણાપંચ અને જાહેર સેવા આયોગના અધ્યક્ષ તથા કેટલાક ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે. વિદેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક તેઓ કરે છે તેમ જ વિદેશી રાજદૂતોને સ્વીકારે છે.
દેશની કોઈપણ અદાલતે ગુનેગારને ફરમાવેલી સજા માફ કરવાની, ફોજદારી સજાઓનો અમલ મોકૂફ રાખવાની, બાકીની સજા માફ કરવાની તેમ જ સજાનું સ્વરૂપ બદલવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે. તેઓ લશ્કરી અદાલતે ફરમાવેલી સજા કે બંધારણના ભંગ માટે થયેલી સજામાં ફેરફાર કરી શકતા નથી.
અંદાજપત્ર કે કોઈ નાણાકીય ખરડો તેમની પૂર્વસંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે. નાણાં અંગેનું કોઈપણ બિલ તેમની અનુમતી વગર સંસદના ગૃહમાં રજૂ થતું નથી. રાજ્યોમાં નાણાંની વહેંચણી યોગ્ય રીતે થાય તે માટે તેઓ દર પાંચ વર્ષ માટે નાણાં આયોગની નિમણૂક કરે છે. આકસ્મિક ફંડમાંથી કોઈ ફંડનો ઉપયોગ કરવો હોય તો તેઓ સંસદની મંજૂરી વિના પણ આપી શકે છે. દેશમાં આકસ્મિક ચોક્કસ પરિસ્થિતિ વખતે રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે છે. તે સમયે બંધારણના સમવાયતંત્રની જોગવાઈઓ બિનઅસરકારક બને છે અને એકતંત્રી શાસન અમલમાં આવે છે. આવી કટોકટી ત્રણ પ્રકારની હોઈ શકે. બાહ્ય કે આંતરિક અશાંતિ, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી. રાષ્ટ્રપતિને એમ લાગે કે, કોઈ રાજ્યમાં બંધારણના નિયમો પ્રમાણે વહીવટ ચાલી શકે તેમ નથી, ત્યારે તે જે તે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દાખલ કરે છે. જેમાં પોતાના પ્રતિનિધિ તરીકે રાજ્યપાલને રાજ્યનો વહીવટ સોંપે છે. આવું રાષ્ટ્રપતિ શાસન વધુમાં વધુ ત્રણ વર્ષ ચાલી શકે. કટોકટી લાગુ કર્યા બાદ તેને બે માસમાં સંસદ સમક્ષ રજૂ કરવી પડે છે. સંસદ મંજૂરી ન આપે તો કટોકટીનો આપોઆપ અંત આવે છે. જો સંસદ કટોકટીની મંજૂરી આપે તો છ માસ સુધી અને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી તેની મુદત લંબાવી શકાય છે. સમગ્ર દેશમાં આવી કટોકટી અત્યાર સુધી ત્રણવાર લાગુ કરવામાં આવેલ છે. ૧૯૬૨માં ચીન સાથે યુદ્ધ, ૧૯૭૧માં પાકિસ્તાન સાથે યુદ્ધ અને ૧૯૭૫થી ૧૯૭૭ના ગાળામાં શ્રીમતી ઈન્દિરા ગાંધીના શાસન વખતે આંતરિક ખલેલના કારણે. રાષ્ટ્રપતિ હોદ્દા પર હોય ત્યારે તેમની સામે કોઈ ફોજદારી કાર્યવાહી કરી શકાતી નથી. ઉપરાંત તેઓ પોતાની ફરજ અંગેના કોઈ પણ પ્રશ્નનો જવાબ કે માહિતી આપવા બંધાયેલા નથી.
રાષ્ટ્રપતિના હોદ્દાની મુદત પાંચ વર્ષ હોય છે. તે પહેલાં તેઓ ઇચ્છે તો રાજીનામું આપી શકે છે. આમ છતાં રાષ્ટ્રપતિને બંધારણ ભંગ કરવાના આરોપસર હોદ્દા પરથી દૂર કરવાની જોગવાઈ બંધારણમાં છે. જેને 'મહાઅભિયોગ' (ઇમ્પિચમેન્ટ)ની કાર્યવાહી કહે છે. સંસદનું એક ગૃહ રાષ્ટ્રપતિ સામે તહોમતનામું ફરમાવે અને બીજું ગૃહ તેમની સામે કામ ચલાવે છે. જો બે તૃતીયાંશ જેટલા સભ્યોની બહુમતી રાષ્ટ્રપતિને દોષિત ઠરાવે તો તેમને ફરજિયાત હોદ્દાનો ત્યાગ કરવો પડે છે. અંતે ભારતમાં તેરમા રાષ્ટ્રપતિ તરીકે પ્રણવ મુખરજીની વરણી તા. ૨૫ જુલાઈ, ૨૦૧૨ના રોજ થઈ છે. ત્યારે અગાઉના રાષ્ટ્રપતિના નામ અને તેમનો સમયગાળો જોઈએ. રાજેન્દ્ર પ્રસાદ (૨૬ જાન્યુ., ૧૯૫૦થી ૧૩ મે, ૧૯૬૨), સર્વપલ્લી રાધાકૃષ્ણનન (૧૩ મે, ૧૯૬૨થી ૧૩ મે, ૧૯૬૭), ઝાકીર હુસેન (૧૩ મે, ૧૯૬૭થી ૩ મે, ૧૯૬૯), વી. વી. ગીરી (૨૪ ઓગસ્ટ, ૧૯૬૯થી ૨૪ ઓગસ્ટ, ૧૯૭૪), ફકરુદ્દીન અલી અહમદ (૨૪ ઓગસ્ટ, ૧૯૭૪થી ૧૧ ફેબ્રુઆરી, ૧૯૭૭), નીલમ સંજીવ રેડ્ડી (૨૫ જુલાઈ, ૧૯૭૭થી ૨૫ જુલાઈ, ૧૯૮૨), જ્ઞાાની ઝૈલસિંહ (૨૫ જુલાઈ, ૧૯૮૨થી ૨૫ જુલાઈ, ૧૯૮૭), રામાસ્વામી વેંકટરામન (૨૫ જુલાઈ, ૧૯૮૭થી ૨૫ જુલાઈ, ૧૯૯૨), શંકર દયાલ શર્મા (૨૫ જુલાઈ, ૧૯૯૨થી ૨૫ જુલાઈ, ૧૯૯૭), કે. નારાયણ (૨૫ જુલાઈ, ૧૯૯૭થી ૨૫ જુલાઈ, ૨૦૦૨), એ.પી.જે. અબ્દુલ કલામ (૨૫ જુલાઈ, ૨૦૦૨થી ૨૫ જુલાઈ, ૨૦૦૭), શ્રીમતી પ્રતિભા પાટિલ (૨૫ જુલાઈ, ૨૦૦૭થી ૨૫ જુલાઈ, ૨૦૧૨).

  • રાષ્ટ્રપતિ પદનુ અસ્તિત્વ દેશના બંધારણની કલમ ૫૨(બાવન) ને આભારી
  • દેશના પ્રથમ નાગરીક, બંધારણીય વડા છે. દેશના શસ્ર દળના વડા છે.
  • દેશ આખાના બનેલા સમગ્ર ભારતીય મતદાર મંડળે આપેલી બહુમતીના આધારે ચુંટાય છે.
  • સમગ્ર દેશનુ પ્રતિનિધિત્વ કરતા હોવાથી કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલા હોતા નથી.
  • દેશના બંન્ને ગ્રુહોના સાંસદો, દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને યુનિયન ટેરીટરી ઓફ પોંડિચેરી સહિત વિવિધ રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વ્રારા મતદાન.
  • વિધાન પરિષદના સભ્યો અને રાષ્ટ્રપતિ એ નિયુક્ત કરેલા રાજ્ય સભાના સભ્યો મતદાન કરી શકતા નથી.
  • રાષ્ટ્રપતિની ચુંટણી પરોક્ષપણે યોજાય છે.
  • સંસદ કે વિધાન સભાની બેઠકો ખાલી હોવા છતાં ચુંટણી યોજાય છે.
  • રાષ્ટ્રપતિ બંધારણની કલમ નં ૧૭૨(૧), ૧૭૪(૬), ૩૫૬(૧) હેઠળ એકથી વધુ વિધાનસભાને વિખેરી મતદાન મંડળોની સરંચના બદલી શકે.
  • સસ્પેન્ડ વિધાનસભાના સભ્યો ચુંટણીમં ભાગ લઇ શકે.
  • કલમ ૫૬(૧)(સી) હેઠળ નવા રાષ્ટ્રપતિ કાર્યભાળ સંભાળે ત્યાં સુધી જુના રાષ્ટ્રપતિ ચાલુ રહે છે.
  • રાષ્ટ્રપતિની મુદત લંબાવી શકાતી નથી કે ચુંટણી મોકુફ રાખી શકાતી નથી.
  • મુદત પુરી થવાના બે માસ અગાઉ નવા રાષ્ટ્રપતિ માટે જાહેરનામુ બહાર પાડવુ પડે છે.
  • કલમ ૬૨(૧) માં નક્કી કરેલી સમયમર્યાદામાં ચુંટણી પુરી કરવી પડે છે.
  • રાષ્ટ્રપતિ  દેશના બંધારણીય વડા છે .ભારતના ત્રણે સંરક્ષણ  દળોના વડા તથા રાષ્ટ્રની એકતા , શક્તિ અને ગૌરવના પ્રતિક છે .

     રાષ્ટ્રપતિ બનવાની યોગ્યતા  :

    ૧.   તે ભારતના નાગરિક હોવા જોઈએ .
    ૨.  ઓછામાં ઓછી ૩૫ વર્ષની ઉંમર હોવી જોઈએ .
    ૩.  લોકસભાના સભ્ય થઇ શકતા  હોવા જોઈએ .
    ૪.  લાભ નો હોદ્દો ન ધરાવે .

    રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ  :

    રાષ્ટ્રપતિને લોકો  પ્રત્યક્ષ રીતે ચૂંટી શકતા નથી , પરંતુ રાષ્ટ્રપતીની ચૂંટણી પરોક્ષ  રીતે  થાય છે .
    તેમની ચૂંટણી સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો  તથા વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા થાય છે .
    હોદ્દાની મુદત  :    તેમની હોદ્દાની મુદત પાંચ વર્ષની હોય છે . પોતે ફરી ચૂંટણીમાં ઉભા રહી શકે છે .
    શપથ :             સર્વોચ્ચ  અદાલતના મુખ્ય  ન્યાયમૂર્તિ સમક્ષ લે છે .
    મહાભિયોગ :
    બંધારણીય ફરજોનો ભંગ , રાષ્ટ્ર દોહ કે  કે એવા ગંભીર પ્રકારના ગુના બદલ  સંસદના કોઈપણ ગૃહના ૧ /૪ સભ્યો ૧૪ દિવસની  નોટીસથી દરખાસ્ત રજુ કરે અને તેના ગૃહના ૨/૩ સભ્યો પસાર કરે , તે પછી બીજું ગૃહ તેમના પર કામ ચલાવે  અને એ ગૃહના સભ્યો ૨/૩ બહુમતી એ ઠરાવ પસાર કરે તો  રાષ્ટ્રપતિને છુટ્ટા કરી શકાય . બંધારણમાં રાષ્ટ્રપતિને  પોતાનો બચાવ કરવાની પણ જોગવાઈ છે .
    રાજીનામું :   ઉપરાષ્ટ્રપતિને આપી શકે છે .
     
 રાષ્ટ્રપતિની સત્તાઓ
(૧) કારોબારી (એકઝિક્યુટિવ) સત્તાઓ
     ભારતના રાષ્ટ્રપતિને આ સત્તાઓ બંધારણના આર્ટિકલ ૫૩ અન્વયે મળ્યા છે. કેન્દ્રની તમામ કારોબારીની નિમણુક જ નહીં પણ તેમના તમામ નિર્ણયોને રાષ્ટ્રપતિએ આખરી મંજૂરી આપવાની હોય છે. માત્ર નિમણુક જ નહીં અયોગ્ય હોદ્દેદાર કે તેના નિર્ણયને તાત્કાલિક અસરથી રદબાદલ પણ ઠેરવી શકે છે. આ સત્તાઓની રૂએ જ દેશના વડાપ્રધાન, પ્રધાનો, ખાતાની વહેંચણી પર પણ આખરી મહોર તેની જ હોય છે. કોઈ શાસક પક્ષ કે યુતિ તેમના મંત્રીમંડળમાં જેને સામેલ કરવાનો નિર્ણય કરે તો રાષ્ટ્રપતિ તેની યોગ્યતા અંગે પ્રશ્નાર્થ કરીને તેને રદ કરી શકે. ઈવન તે નિષ્ક્રીય વડાપ્રધાનને બદલવા સુધીનો અસાધારણ નિર્ણયની પ્રક્રિયા પ્રારંભી શકે. ક્યા નેતાએ ક્યું ખાતું સંભાળવું તેમાં તે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. સુપ્રિમ કોર્ટના અને હાઈકોર્ટના જજની નિમણુક પણ તે જ કરે છે.
     
     તેવી જ રીતે રાજ્યના ગવર્નર, એટર્ની જર્નલ, કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, ચૂંટણી પંચના ચીફ કમિશનથી માંડી તેના સભ્યો, યુપીએસસીના ચેરમેન અને સભ્યો, આયોજન અને નાણા કમિશન તેમજ અન્ય તમામ કમિશનો તેને આધીન છે.
(૨) (લેજીસ્લેટિવ) સત્તાઓ
      સાંસદની કાર્યવાહીનો નિષ્કર્ષ, નિર્ણય કે ઠરાવ આખરે તો રાષ્ટ્રપતિ સમક્ષ જ મંજૂરી માટે મુકાય છે. રાષ્ટ્રપતિનો આખરી નિર્ણય જ આખરી અમલી ઠરાવ તરીકે સ્વીકૃત બને છે. રાષ્ટ્રપતિ ધારે તો સંસદને બોલાવી પણ શકે અને વિખેરી પણ શકે. જે લોકસભા અને રાજ્યસભા વચ્ચે કોઈ પ્રશ્ને સ્થગિતતા હોય તો રાષ્ટ્રપતિ સંયુક્ત સાંસદ બોલાવવાનો હુકમ કરી શકે. ચૂંટાયેલી તમામ સરકારના સાંસદોને સૌ પ્રથમ રાષ્ટ્રપતિ સંબોધન કરે છે અને સરકારનો એજન્ડા શું હોવો જોઈએ તે જણાવે છે.
       
     કોઈ રાજ્યની હદ વધારવાની કે બે ભાગ કરવાનો હોય, રાજ્યનું નવું નામ આપવાનું હોય તો તે રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. નાગરિકોના પાયાના અધિકારો જળવાતા ના હોય તો રાષ્ટ્રપતિ અંતિમવાદી પગલું પણ લઈ શકે છે. કોઈ બિલ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી બાદ જ બને છે. સાંસદનું સત્ર ના હોય અને કોઈ ઠરાવ પસાર કરવાની નોબત આવે તો રાષ્ટ્રપતિ તેમ કરી શકે છે કે પછી પ્રવર્તમાન ઠરાવ પરત ખેંચી શકે છે. દેશના જુદી જુદી ટેલેન્ટ ધરાવનાર કે સામાજિક ક્ષેત્રના રત્નો સમાન ૧૨ હસ્તીઓની નિમણુક રાષ્ટ્રપતિ રાજ્યસભા કરી શકે. સંસદમાં મુકાતા તમામ અહેવાલો રાષ્ટ્રપતિને સંબોધીને હોય છે.
(૩) લશ્કરી (મિલિટરી) સત્તાઓ
      લશ્કરની ત્રણેય પાંખના વડા રાષ્ટ્રપતિ છે. સરંક્ષણ અંગેના તમામ હોદ્દેદારો તેમના વડાની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે. રાષ્ટ્રપતિ અન્ય દેશ સામે યુદ્ધ જાહેર કરી શકે કે સંધીની પ્રક્રિયાને આખરી રૂપ આપી શકે. જોકે અમુક આવી સત્તા માટે સંસદની સંમતિની આવશ્યકતા હોય છે.
(૪) રાજદ્વારી (ડિપ્લોમેટિક) સત્તાઓ
      વિદેશ મંત્રાલયની તમામ નીતિઓ, રાજદૂતો અને જે તે દેશમાં હાઈ કમિશનની નિમણુક પણ રાષ્ટ્રપતિ કરે છે. વિદેશના જે રાજદૂતો કે અધિકારીઓ ભારતમાં તેમની ઓફિસને રીપોર્ટ કરે તે પહેલા રાષ્ટ્રપતિ તેના વિશે બારીકાઈથી જાણી શકે. વિદેશી એજન્સી કે દૂતાવાસનો હોદ્દેદાર રાષ્ટ્રપતિની મંજૂરી હેઠળનો હોવો જોઈએ. રાષ્ટ્રપતિ તેમને દેશનિકાલ કરી શકે.
(૫) ન્યાયતંત્ર (જ્યુડિસિયલ) સત્તાઓ
      ન્યાયતંત્રની કોઈપણ શાખા કે ન્યાયાધીશ આખરે તો માનવોથી બનેલી છે. તેમાં ભૂલ થઈ શકે. રાષ્ટ્રપતિ કોઈપણ જાહેર થયેલ કસુરવારને માફી બક્ષી શકે છે. સજા ઘટાડી શકે છે. મૃત્યુદંડની સજાને રદ કરી શકે છે. રાષ્ટ્રપતિ એક આખરી જજ તરીકે કોઈની સજાને મહોર પણ લગાવી શકે છે.
સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટના જજની નિમણુક તો ખરી જ પણ બદલી અને સસ્પેન્શનની સત્તા પણ તેમની પાસે છે. જો કોઈ રાજ્ય કે વ્યક્તિ સમૂહ પાયાના હક્કોની જાળવણી ના થતી હોય કે અન્યાય થતો હોય તો રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટ કે અને ન્યાયપંચનો અભિપ્રાય લઈને અસાધારણ નિર્ણય લઈ શકે છે.
(૬) નાણાકિય (ફીનાન્સીયલ) સત્તા
      કેન્દ્રના અંદાજપત્રની તમામ દરખાસ્તો માટે રાષ્ટ્રપતિની મંજૂરી અનિવાર્ય છે. તેવી જ રીતે ઓડિટર જનરલનો રીપોર્ટ, તમામ નાણા બિલ, ફાઈનાન્સ કમિશનનો અહેવાલ રાષ્ટ્રપતિને સબમીટ કરવાનો હોય છે. કેન્દ્રનું આકસ્મીક ભંડોળ સંજોગો પ્રમાણે તેઓ છુટું કરી શકે છે.
(૭) કટોકટી વખતની (ઈમરજન્સી) સત્તાઓ
      ભારતના બંધારણના ઘડવૈયાઓ તત્કાલિન ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, ૧૯૩૫થી પ્રભાવિત થયા હતા. આ ઉપરાંત જર્મનીના વેઈમરના બંધારણની જોગવાઈઓ તો પણ તે વખતે અભ્યાસ થયો હતો. તેના આધારે ભારતના રાષ્ટ્રપતિને ત્રણ પ્રકારની કટોકટી વખતે અસાધારણ સત્તા આપવામાં આવી છે. જેમકે રાષ્ટ્રીય કટોકટી, રાજ્યની કટોકટી અને આર્થિક કટોકટી.
(૮) રાષ્ટ્રીય (નેશનલ) કટોકટી
      બંધારણના ૧૮મા પાર્ટમાં રાષ્ટ્રીય કટોકટીની સ્થિતિનું જે નિરૂપણ થયું છે તેમાં આગળ જતા ૪૨મા સુધારા (૧૯૭૬) અને ત્યારબાદ ૪૪મા સુધારા (૧૯૭૮) અન્વયે ઘણા ફેરફારો કરાયા છે. આર્ટિકલ ૩૫૨ અન્વયે રાષ્ટ્રપતિ દેશમાં કટોકટી જાહેર કરી શકે છે. જો રાષ્ટ્રપતિને દેશની સલામતિ અને વ્યવસ્થા સદંતર ખોરવાઈ ગયેલી લાગે, યુદ્ધ, બાહ્ય આક્રમણ, લશ્કરી બળવો કે કોઈ કુદરતી-માનવ સર્જીત અસાધારણ ઘટના બને તો કટોકટી જાહેર કરી શકે છે. આવું કંઈ બનવાની પૂર્વ માહિતી કે અહેવાલના આધારે પણ સાવચેતીરૂપે રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે. રાષ્ટ્રપતિ જાહેરાત કરે તેના એક મહિનાની અંદર બંને ગૃહોની મંજૂરી આ માટે જરૂરી છે.
     જો લોકસભાનું કટોકટી અંતર્ગત વિસર્જન થાય તો રાજ્યસભા રાષ્ટ્રપતિના કટોકટીના નિર્ણયને મંજૂર કરે તે જરૂરી છે. જો બંને ગૃહો કટોકટીને મંજૂર કરે તો તે કટોકટીનો સમયગાળો વઘુમાં વઘુ છ મહિના રહી શકે. આમ છતાં પરિસ્થિતિનું વિશ્વ્લેષણ કરીને છ-છ મહિના તેને લંબાવી શકાય. આવા પ્રત્યેક ઠરાવને બંને ગૃહોની બે તૃતિયાંશ બહુમતિ જોઈએ.
     કટોકટીના સમયે રાષ્ટ્રપતિ તમામ રાજ્યોની સરકાર પછી તે ગમે તે પક્ષની હોય તેનો વહિવટ તેના હસ્તક લઈને કોઈની પણ મંજૂરીની પરવા કર્યા વગર ઈચ્છે તે નિર્ણય દેશના હિતમાં લઈ શકે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની આર્થિક વહેંચણી કે પ્રવર્તતા ઠરાવોને સ્થગિત કરી શકે. દેશની પ્રજાના મૂળભૂત અધિકારોની દેશના હિતમાં જાળવણી ના થાય તો તેને પડકારી શકાતા નથી. સંસદના ગૃહોની મુદ્દત એક વર્ષ માટે લંબાવી શકાય.
     આર્ટિકલ ૩૫૨ અંતર્ગત સૌ પ્રથમ રાષ્ટ્રીય કટોકટી ચીને ૧૯૬૨માં આપણા પર આક્રમણ કર્યું ત્યારે લાદવામાં આવી હતી. જે જાન્યુઆરી, ૧૯૬૮ સુધી જારી રખાઈ હતી.
     બીજી કટોકટી ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન યુદ્ધ વચ્ચે જાહેર થઈ હતી. જૂન ૧૯૭૫માં આઝાદ ભારતની સૌથી કલંકિત ઘટના સમાન કટોકટી દેશની આંતરિક રાજકિય સીસ્ટમ પડી ભાંગી છે તેવા કારણ સાથે લાદવામાં આવી હતી. આ કટોકટી માર્ચ, ૧૯૭૭ સુધી રહી હતી.
(૯) રાજ્યની (સ્ટેટ) કટોકટી
      સ્ટેટ ઈમરજન્સી પણ આમ તો રાજ્યની રાજકિય વહિવટ વ્યવસ્થા ઠપ્પ થઈ જાય કે વ્યાપક જનહિતમાં શાસન ના હોય તો રાષ્ટ્રપતિ લાગુ પાડી શકે છે. આવા સંજોગોમાં રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના હસ્તક શાસનની દોર આવી જાય છે. આર્ટિકલ ૩૫૬માં જણાવાયું છે કે જો રાષ્ટ્રપતિને જે તે રાજ્યના રાજ્યપાલ કે અધિકૃત એજન્સીનો એવો રીપોર્ટ મળે કે રાજ્ય સરકાર દેશના બંધારણ પ્રમાણે વહિવટ નથી કરતી કે પછી પ્રજાના મૂળભૂત હક્કો પર જોહૂકમી કે ભય પ્રવર્તે છે. રક્ષણ નથી થતું અને રાષ્ટ્રપતિ તેની રીતે યોગ્યતાની ખરાઈ કરીને નિર્ણય લે તો તત્કાલ અસરથી રાજ્યની ચૂંટાયેલી સરકારની જગાએ રાષ્ટ્રપતિ વહિવટી સર્વસત્તા અને નિર્ણયો લે. અલબત્ત રાજ્યની હાઈકોર્ટની સત્તા જારી રહે. રાષ્ટ્રપતિ તેના વતી ગવર્નરને રાજ્યનું શાસન સંભાળવા આદેશ કરે. આવી કટોકટીને બંને ગૃહોએ બે મહિનામાં મંજૂર કરવી પડે. દર છ મહિને છ મહિના સુધી આવી કટોકટી વઘુમાં વઘુ પછી વર્ષ લંબાવી શકાય.
 
     રાજ્યનું મંત્રીમંડળ આવી રાજ્ય કટોકટી વખતે કાં તો વિખેરી નંખાય છે કે સસ્પેન્ડેડ સ્થિતિમાં મુકી દેવાય છે.
      ૧૯૫૧થી ઘણા રાજ્યોમાં આ રીતે રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત થઈ ચૂકી છે. બંધારણમાં ૪૪માં સુધારાના ભાગરૂપે રાજ્ય સરકાર રાષ્ટ્રપતિ શાસનની આવી જાહેરાતને કોર્ટમાં પડકારી શકે છે.
(૧૦) નાણાકીય (ફીનાન્સીયલ) કટોકટી
      આર્ટિકલ ૩૬૦ અન્વયે દેશ કે કોઈ હિસ્સાની આર્થિક સ્થિરતા ભયજનક છે તો રાષ્ટ્રપતિ નાણાકિય કટોકટી જાહેર કરી શકે. જો મહિના સુધી આવી કટોકટી રહી શકે. તે દરમિયાન બંને ગૃહોની મંજૂરી અનિવાર્ય છે. જો રાષ્ટ્રપતિની ઈચ્છાને આધીન બંને ગૃહો અનિશ્ચિત સમયગાળા માટે પણ આ કટોકટી જાહેર કરી શકે છે.

      રાષ્ટ્રપતિ રાજ્ય સરકારોને જાહેર ખર્ચાઓ પર તત્કાલ અસરથી કાપ મુકવા જણાવી શકે. કર્મચારીઓના પગાર પર કાપ મુકી શકે. ખાનગી કંપનીઓ, વિદેશી આર્થિક જોડાણો, કરારને મોકૂફ કે સ્થગિત કરી શકે. કોર્ટના જજ તમામ વહિવટી સ્ટાફ, ઉચ્ચ હોદ્દેદારોના ભથ્થા, પ્રવાસ અન્ય સુવિધાઓ પર કાપ કે સદંતર બંધ કરી દેવાય, કેન્દ્રની કેટલી રકમ ક્યા રાજ્યને આપવી કે ના આપવી તે રાષ્ટ્રપતિ સત્તા ભોગવે છે. બીજી રીતે કહી શકાય કે દેશની તિજોરી અને આર્થિક વહિવટ તેમને હસ્તગત આવી જાય છે.

      આઝાદ ભારતના ઈતિહાસમાં નાણાકીય કટોકટી હજુ સુધી જાહેર થઈ નથી. છેલ્લાં વર્ષોમાં ઘણા યુરોપીય અને સાઉથ અમેરિકન દેશોમાં આર્થિક કટોકટી સરકાર જાહેર કરી ચુક્યા છે. ભારત જેવા લોકશાહી દેશમાં રાષ્ટ્રપતિની આ તમામ સત્તાઓ માટે બંને ગૃહોની બહાલીની આવશ્યકતા છે. આમ છતાં રાષ્ટ્રપતિ તેના ઈરાદા, સંકલ્પ અને ફાઈલને મંજૂર કે રીજેક્ટ કરીને સાંસદોને તેમના હોદ્દા અને ફરજોનું ભાન કરાવીને ખુલ્લા તો પાડી જ શકે છે.
 

ક્રમ નામ શપથ ગ્રહણ આખરી દિવસ
૦૧ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જાન્યુઆરી ૨૬, ૧૯૫૦ મે ૧૩, ૧૯૬૨
૦૨ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન મે ૧૩, ૧૯૬૨ મે ૧૩, ૧૯૬૭
૦૩ ડૉ. ઝાકીર હુસૈન મે ૧૩, ૧૯૬૭ મે ૩, ૧૯૬૯
* વરાહગીરી વેંકટા ગીરી મે ૩, ૧૯૬૯ જુલાઇ ૨૦, ૧૯૬૯
* મહમ્મદ હિદાયતુલ્લાહ જુલાઇ ૨૦, ૧૯૬૯ ઑગષ્ટ ૨૪, ૧૯૬૯
૦૪ વરાહગીરી વેંકટા ગીરી ઑગષ્ટ ૨૪, ૧૯૬૯ ઑગષ્ટ ૨૪, ૧૯૭૪
૦૫ ફકરૂદ્દીન અલી અહમદ ઑગષ્ટ ૨૪, ૧૯૭૪ ફૅબ્રૂઆરી ૧૧, ૧૯૭૭
* બાસ્સપ્પા ડાનપ્પા જત્તી ફૅબ્રૂઆરી ૧૧, ૧૯૭૭ જુલાઇ ૨૫, ૧૯૭૭
૦૬ નિલમ સંજીવ રેડ્ડી જુલાઇ ૨૫, ૧૯૭૭ જુલાઇ ૨૫, ૧૯૮૨
૦૭ ગિયાની ઝૈલ સીંઘ જુલાઇ ૨૫, ૧૯૮૨ જુલાઇ ૨૫, ૧૯૮૭
૦૮ રામસ્વામી વેંકટરામન જુલાઇ ૨૫, ૧૯૮૭ જુલાઇ ૨૫, ૧૯૯૨
૦૯ ડૉ. શંકર દયાલ શર્મા જુલાઇ ૨૫, ૧૯૯૨ જુલાઇ ૨૫, ૧૯૯૭
૧૦ કોચેરીલ રામન નારાયણન જુલાઇ ૨૫, ૧૯૯૭ જુલાઇ ૨૫, ૨૦૦૨
૧૧ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ જુલાઇ ૨૫, ૨૦૦૨ જુલાઇ ૨૫, ૨૦૦૭
૧૨ શ્રીમતિ પ્રતિભા પાટીલ જુલાઇ ૨૫, ૨૦૦૭ જુલાઇ ૨૪, ૨૦૧૨
૧૩ શ્રી પ્રણવ મુખર્જી જુલાઇ ૨૫, ૨૦૧૨


No comments:

Post a Comment